Friday, July 27, 2012

‘હું કોણ છું’ ...

હું હવાની જેમ ચારે કોર લ્હેરું, તે છતાં ‘હું કોણ છું’ એ પ્રશ્ન તો ઊભો જ છે;
થાય મન તો હું વળી દરિયાય પ્હેરું, તે છતાં ‘હું કોણ છું’ એ પ્રશ્ન તો ઊભો જ છે.

લોક રાખે છે ઈનામો કેટલાં મારા ઉપર, એ વાતની તમને કશી ક્યાં ખબર ?
શોધવું મુશ્કેલ મારું પગેરું, તે છતાં ‘હું કોણ છું’ એ પ્રશ્ન તો ઊભો જ છે.

જીવતામાં જીવ છું હું ને મરેલામાં મરણ એવી જ છે કૈં વાયકા મારા વિશે.
ક્યાંય પણ મારું નથી એકેય દે’રું, તે છતાં ‘હું કોણ છું’ એ પ્રશ્ન તો ઊભો જ છે.

ગૂંચવીને વાતને છેવટ ઉકેલી નાખવી એવી રમત ગમતી મને, ને એટલે -
આંધળે કુટાય છે ક્યારેક બહેરું, તે છતાં ‘હું કોણ છું’ એ પ્રશ્ન તો ઊભો જ છે.

ગીતમાં હું લય બની લ્હેર્યા કરું છું, ને ગઝલમાં ગાલગાગા ગાલગાગા ગાલગા,
વેદનાઓ પાઈને વૃક્ષો ઉછેરું, તે છતાં ‘હું કોણ છું’ એ પ્રશ્ન તો ઊભો જ છે.

હું જ છું જે નશામાં ચૂર થઈને છેક ઈશ્વરના ચરણ પાસે જતો ને આખરે,
કોઈ શ્રદ્ધા તણું શ્રીફળ વધેરું, તે છતાં ‘હું કોણ છું’ એ પ્રશ્ન તો ઊભો જ છે.


- અનીલ વાળા

No comments:

Post a Comment