Thursday, May 10, 2012

મને બીક ના બતાવો ! ...

જેની પાસે વૈભવ હોય એને સતત ચિંતા કે આ સરી જશે તો શું? પણ જેનું બધુ લુંટાઈ છે એને પછી કોઈ ભય રહેતો નથી. ભયનો એક્વાર મુકાબલો કર્યા પછી ભય ભય રહેતો નથી. હતાશાનો આકરો અનુભવ કર્યા પછી એ પરિસ્થિતિમાં જો ભાંગી ન પડીએ તો હતાશાની વેદનાને અતિક્રમી જવાય છે.
આ કાવ્યમાં સ્વસ્થતા  છે, વેદનાને અતિક્ર્મી ગયાની. અને છતાંય જો શબ્દો પર સ્ટેથોસ્કોપ મૂકો તો વેદનાનો ગુપ્ત ધબકાર સંભળાયા કરે છે ... ( સંપાદન - સુરેશ દલાલ)


મારી કોઈ ડાળખીમાં પાંદડા નથી
મને પાનખરની બીક ના બતાવો !

પંખી સહિત હવા ચાતરીને જાય
એવું આષાઢી દિવસોમાં લાગે,

આંબાનું સાવ ભલે લાકડું કહેવાઉં
પણ મારામાં ઝાડ હજી જાગે.

માળામાં ગોઠવેલી સળી હું નથી
મને વીજળીની બીક ના બતાવો !

એકે ડાળીથી હવે ઝીલ્યો ન જાય
કોઈ રાતી કીડીનોય ભાર !

એક પછી એક ડાળ ખરતી જોઉં ને થાય
પડવાને છે કેટલી વાર ?

બરફમાં હું ગોઠવેલું પાણી નથી
મને સૂરજની બીક ના બતાવો !

- અનિલ જોશી

No comments:

Post a Comment