Wednesday, May 9, 2012

Full of Life હોવું એટલે શું? ...


દુઃખ એય સુખ સમાન હતું કોણ માનશે? મૃગજળમાં જળનું સ્થાન હતું કોણ માનશે?
કોનું ગજું કે નાવનું સાગરમાં નામ લે! તોફાન ખુદ સુકાન હતું કોણ માનશે?
 - વ્રજ માતરી
જિંદગી ક્યારેક સાવ સહેલી લાગે છે અને ક્યારેક ખૂબ જ અઘરી. જિંદગી ક્યારેક સપનું લાગે છે અને ક્યારેક હકીક્ત. જિંદગી ક્યારેક કોયડો છે અને ક્યારેક ઉકેલ. જિંદગી ક્યારેક ગીત લાગે છે અને ક્યારેક ગઝલ. જિંદગીની મજા જ એ છે કે એ એકસરખી નથી. જો જિંદગી કાયમ એકસરખી જ હોત તો જીવવાની કોઈ મજા જ ન હોત. જિંદગીની વ્યાખ્યાઓ સમય અને ઉંમર સાથે બદલાતી રહે છે. માન્યતાઓ બદલાય છે, ધારણાઓ બદલાય છે, શક્યતાઓ બદલાય છે, આશાઓ બદલાય છે, અપેક્ષાઓ બદલાય છે, કારણ કે સતત બદલાવ એ જિંદગીની ખાસિયત છે.

એક વ્યક્તિ સંત પાસે ગઈ. તેણે કહ્યું કે  " બધું જ ધીમે ધીમે વિસર્જન પામે છે."

સંતે કહ્યું કે ના એવું નથી. તમે શું જુઓ છો તેના પર સર્જન કે વિસર્જનનો આધાર છે. મને તો એવું લાગે છે કે બધું જ સર્જન થતું રહે છે. તમે વિસર્જનને શા માટે જુઓ છો? સર્જનને જુઓ ને! ઉંમર એ મોતની નહીં પણ જિંદગીની નજીક લઈ જવી જોઈએ. ઉંમરની સાથે સમજણ વધે છે એવું મનાય છે, એવી જ રીતે ઉંમરની સાથે જિંદગી ખીલવી જોઈએ. સૂરજ રોજ ઊગે છે, ફૂલ રોજ ખીલે છે, ભૂખ રોજ લાગે છે અને શ્વાસ સતત ચાલે છે. જિંદગીમાં સતત નવીનતા જ હોય છે. આપણે માત્ર જૂનું પકડી રાખીએ છીએ એટલે જ આપણને બધું જૂનું, નક્કામું, ઉદાસ અને કંટાળાજનક લાગે છે.

‘ફુલ ઓફ લાઈફ’ હોવું એટલે શું? બધાને જિંદગી ભરપૂર જોઈએ છે, બધું જ છલોછલ હોય એવું ગમે છે. પણ બધું એકસરખું રહેતું નથી. ઘટતું અને વધતું રહે છે. માણસ ઓલવેઝ બે એકસ્ટ્રીમ વચ્ચે જીવે છે. એક તરફ સુખ છે અને બીજી તરફ દુઃખ છે. એક તરફ ઉત્સાહ છે અને બીજી તરફ ઉદાસી છે. એક તરફ પ્રશ્ન છે અને બીજી તરફ જવાબ છે. આ બધાની વચ્ચે એકધારું અને એકસરખું જીવવું એટલે જ ફુલ ઓફ લાઈફ હોવું.


જિંદગી એટલે સુખને સાર્થક કરવું અને દુઃખને જીરવવું. જિંદગીમાં દુઃખ, સમસ્યા, મૂંઝવણ, ઉપાધિ, ચિંતા અને અડચણો તો આવવાની જ છે. આ બધું પણ જિંદગીનો જ એક ભાગ છે. તમે તેનાથી ભાગી ન શકો. ભાગવા જશો તો વધુ દુઃખી થશો. જિંદગી એટલે દરેક ક્ષણની પૂર્ણ અનુભૂતિ. સુખની પણ અને દુઃખની પણ. ફૂલની પણ અને કાંટાની પણ. હાસ્યની પણ અને આંસુની પણ. આહની પણ અને વાહની પણ. અપની પણ અને ડાઉનની પણ. જે દુઃખને સહન કરી શકે છે એ જ સુખને મહેસૂસ કરી શકે છે. પ્રશ્નની મજા જવાબમાં છે. તમે પ્રશ્નથી થાકી જશો તો જવાબ મળશે જ નહીં.

એક મિત્રએ બીજા મિત્રને કહ્યું કે, હમણાં ખરાબ સમય ચાલે છે. હમણાં હું દુઃખી છું. પેલા મિત્રએ કહ્યું કે આ સમય ન હતો અને આ દુઃખ ન હતું ત્યારે તો તેં ક્યારેય મને એવું કહ્યું નથી કે હમણાં સમય સારો ચાલે છે. હમણાં હું સુખી છું. આપણે દુઃખની જ કેમ નોંધ લઈએ છીએ? હવે આ દુઃખ જાય ત્યારે તુ કહેજે કે હવે હું સુખી છું.ઘરની બારીમાંથી પડતી સવાર આપણને નવી લાગતી નથી એટલે આપણે હિલ સ્ટેશન પર જઈને સવાર માણવાની ઇચ્છા રાખીએ છીએ અને ત્યાં જઈ નથી શકતા એટલે દુઃખી થઈએ છીએ.

દુઃખને છોડી દો અને જ્યાં સુધી છે ત્યાં સુધી એની પણ સાથે રહો. ‘ફુલ ઓફ લાઈફ’ એટલે જિંદગીની તમામ ક્ષણોને મહેસૂસ કરવી, દરેક ક્ષણની અનુભૂતિ કરવી અને દરેક ક્ષણને માણવી. સુખ તો નજીક જ હોય છે, ઘણી વખત તો આપણે તેનાથી ભાગતા હોઈએ છીએ. દુઃખને એટલી બધી ગંભીરતાથી લઈએ છીએ કે આપણે આપણને સુખી માનવા તૈયાર જ નથી હોતા, બાકી સુખ ગેરહાજર હોતું જ નથી, માત્ર આપણે હાજર નથી હોતા!


છેલ્લો સીનઃ
માણસના જીવનનો મોટો ભાગ એ જ વિચારમાં ને વિચારમાં વીતી જાય છે કે હું જીવનને નાશ પામતા કેવી રીતે બચાવીશ? તેના પરિણામે જ જીવન નષ્ટ થઈ જાય છે અને આપણા જીવતા રહેવાના પ્લાનિંગમાં જ રચ્યાપચ્યા રહીએ છીએ. જીવતાં હોતા જ નથી.
- ઈમર્સન
- કૃષ્ણકાંત ઉનડકટ .... "ચિંતનની પળે" આર્ટિકલમાંથી .....


અને છેલ્લે મારા તરફથી શ્રી રાજેન્દ્ર શાહની આ પંક્તિઓ ....

આપણી કને હોય તે બધું હોડમાં મૂકી દઇ, 
હાર કે જીત વધાવીએ આપણે એકબીજાનાં થઇ.........

No comments:

Post a Comment