Saturday, November 17, 2012

સિમ્ફનિ ....

મારા નવા જન્મમાં
બારાખડી શિખતી વખતે
હું કોઈ દિવસ પૂછીશ નહીં
કે પ્રેમ એટલે શું?

મને ખબર છે
કે પ્રેમ એટલે બે માણસો મળે તે
પ્રેમ એટલે બે માણસો
એકમેકને ગળે પડે તે.
પ્રેમ એટલે થોડીક પ્રતીક્ષા, થોડાક પત્રો,
કેવળ વાતો, કેવળ શબ્દો, થોડાક સપનાં,
પ્રેમ એટલે  હોટેલનું ટેબલ-
સામસામી પડેલી બે ખાલી ખુરશી,
કોઈક ખૂણે કામુક આલિંગનો,
થોડીક થ્રિલ, પૂરો થતો શો,
ફરી પાછી ફૂટપાથ
પ્રેમ એટલે થોડાક સપનાં, અઢળક ભ્રમણાં!

વૈયક્તિક પ્રેમની પ્રતિક્ષાના
બધાજ ઝરુખા કેમ નંદવાયેલા હોય છે?
લખાયેલા પત્રો
અંતે તો ભૂતકાળની નિર્જન ગલીઓ છે.
આ ગલીઓમાં
ક્યારેક લાઉડ-સ્પીકર્સ મૂકાયાં હશે,
રંગીન પરપોટાનાં તોરણો બંધાયા હશે.

મારે તો ગલીઓની બહાર નીકળવું છે.
હતો, છે અને હશેની બહાર નીકળવુ છે.
જ્ઞાનીઓ કહ્યા કરે છે
કે મારે બહાર નીકળવુ હોય
તો ભીતરમાં જવુ જોઈએ. 

હમણાં તો
મારી ભીતર એક આખુ નગર સળગ્યા કરે છે
એની અગ્નિજ્વાળાઓ મને પળેપળે વળગ્યા કરે છે

ટાઢક અને શાતા
બુધ્ધની મીંચાયેલી આંખમાં છે
અને મારી આંખોને તો
નહીં મીંચાવાનો શાપ છે. 

અગ્નિજ્વાળાની દીવાલોથી વીંટળાયેલો હું
જાણે કે સ્મશાનમાં બેસીને
યશોધરાના પ્રેમપત્રો વાંચું છુ.

મરેલા માણસની કુંડળીને
જ્યોતિષી વાંચતો હોય, એમ!

- સુરેશ દલાલ

No comments:

Post a Comment