Thursday, May 26, 2011

પછી શું થયું ખબર નથી.....

અંતરે ઉમટ્યો અવસાદ પછી શું થયું ખબર નથી.
સંભળાયો'તો શંખનાદ પછી શું થયું ખબર નથી.

એક દિવસ લખવા બેઠો હતો હું કાગળ હરિવરને
અક્ષર પાડ્યો'તો એકાદ પછી શું થયું ખબર નથી.

ઇચ્છ્યુ હતું એમ કે નીકળી પડું હું જ મારામાંથી
ભિતરે ઉઠ્યો એક સાદ પછી શું થયું ખબર નથી.

કહેવાય છે કે થયો હતો એક વિસ્ફોટ મારી અંદર
કોઇની આવી હતી યાદ પછી શું થયું ખબર નથી.

આમ તો નિ:શબ્દ હતું એક આકાશ આપણી વચ્ચે
આંખોથી રચાયો સંવાદ પછી શું થયું ખબર નથી....

-પ્રણવ ત્રિવેદી

No comments:

Post a Comment