Thursday, August 30, 2012

વિશ્વાસ છોડી દે ...

ગમે તે થાય પણ ના જાતનો વિશ્વાસ છોડી દે;
જીવન માટે જરૂરી શ્વાસ છે, કાં શ્વાસ છોડી દે.

ખૂણે ને ખાંચરે ને છાને છોડ્યે ખ્યાલ ન આવે,
તું ખુલ્લેઆમ છોડી દે અને ચોપાસ છોડી દે.

ધુમાડો સરી જાશે તો સ્હેજે ખ્યાલ નહીં આવે,
જીવનને આટલું ના ભેટ -બાહુપાશ છોડી દે.

ગઝલ ઓચિંતી એની મેળે આવી જાય છે ક્યારેક,
અરુઝ્ની વાત મૂકી દે, બહર ને પ્રાસ છોડી દે.

ઘુવડ ટોળાની વચ્ચે જીવ! તારે જીવવાનું છે,
જરા અંધારું સમજી લે, બધો અજવાસ છોડી દે.

તને જળનું જ ઝંખન જીવતો રાખે છે , સમજી લે,
તને ક્યા સંતે કહી દીધું કે તારી પ્યાસ છોડી દે.

જરા ખાલી હશે તો મોકળું થઈ મન ફરી શકશે, 
જગત આખાનું સઘળું જ્ઞાન ઠાંસો ઠાંસ છોડી દે.

- મનોજ ખંડેરીયા

No comments:

Post a Comment