Showing posts with label અશ્વિન ચંદારાણા. Show all posts
Showing posts with label અશ્વિન ચંદારાણા. Show all posts

Tuesday, March 8, 2011

મહાભારત ...

મહાભારત પોતે એક મહાકાવ્ય છે પણ એ જ મહાકાવ્યનો આસ્વાદ જો એક નાનકડા કાવ્યમાંથી મળી જાય તો !

માછલીની આંખ વીંધાયા પછીની વાત છે,
દ્રૌપદીના ભાગ્યની વ્હેંચાઈ એક એક રાત છે.

ભીખ માગી જીવવું, કે દાન આપી ઝૂઝવું?
યુદ્ધ અર્જુન જીતશે એ કર્ણની ખેરાત છે.

કોણ કોનો સાથ આપે અંતિમે એ જાણવું,
શ્વાન પામે સ્વર્ગને જો, ધર્મની સોગાત છે.

કોઈ પામે તાજને, ને કોઈ ચાટે ધૂળને,
કૈંક ગાંધારી ને કુંતીના જિગર પર ઘાત છે.

ધર્મ સાથે ચાલવું, કે ન્યાયને પંથે રહું?
બેઉ બાજુ ભ્રાતૃઓથી ભીષ્મને આઘાત છે.

પ્રેમ હો કે યુદ્ધ હો, ત્યાં એ બધું ઉચિત હશે,
પાંડવોની સાંજ છે તો કૌરવોની રાત છે.

હું પગે તારી તરફ છું, મસ્તકે એની તરફ,
મૂછમાં હસ્યા કરું છું, કૃષ્ણ મારી જાત છે.

- અશ્વિન ચંદારાણા