Showing posts with label નરસિંહ મહેતા. Show all posts
Showing posts with label નરસિંહ મહેતા. Show all posts

Wednesday, October 3, 2012

સત્ય અને અહિંસા

"સત્યથી ભિન્ન કોઈ પરમેશ્વર હોય એવુ મેં નથી અનુભવ્યુ. સત્યમય થવાને સારુ અહિંસા એ જ એક 
માર્ગ છે ...."

"આત્મશુધ્ધિ વિના જીવમાત્રની સાથે ઐક્ય ન જ સધાય. આત્મશુધ્ધિ વિના અહિંસાધર્મનું પાલન સર્વથા અસંભવિત છે. "

"શુધ્ધ થવુ એટલે મનથી, વચનથી ને કાયાથી નિર્વિકાર થવું, રાગધ્વેષાદિરહિત થવું. એ નિર્વિકારતાને પહોંચવાને પ્રતિક્ષણ મથતા છતાં હું પહોંચ્યો નથી, તેથી લોકોની સ્તુતિ મને ભોળવી શકતી નથી, એ સ્તુતિ ઘણીવાર ડંખે છે. મનના વિકારોને જીતવા જગતને શસ્ત્ર્યુધ્ધથી જીતવા કરતાંય મને કઠિન લાગે છે. ..... "

"અહિંસાએ નમ્રતાની પરાકાષ્ઠા છે.અને એ નમ્રતાવિના મુક્તિ કોઈકાળે નથી ... "

"મારે દુનિયાને નવુ કશુ શીખવવાનુ નથી. સત્ય અને અહિંસા અનાદિકાળથી ચાલ્યા આવે છે. ......"

- મોહનદાસ કરમચંદ ગાંધી.
"સત્યના પ્રયોગો" માંથી કેટલાક અંશો .....


અને છેલ્લે ....

વૈષ્ણવ જનતો તેને કહિયે જે પીડ પરાયી જાણેરે
પરદુઃખે ઉપકાર કરે તોયે મન અભિમાન ન આણેરે...

સકળ લોકમા સહુને વંદે નિંદા ન કરે કેનીરે
વાચ કાછ મન નિશ્ચલ રાખે ધનધન જનની તેનીરે ...

સમ દૃષ્ટીને તૃષ્ણા ત્યાગી પરસ્ત્રી જેને માતરે
જિહ્વા થકી અસત્ય ન બોલે પરધન નવઝાળે હાથરે ...

મોહ માયા વ્યાપે નહિ જેને દૃઢ વૈરાગ્ય જેના મન મારે
રામનામ સૂઁ તાલી લાગી સકલ તીરથ તેના તનમાઁરે ...

વણ લોભીને કપટરહિતછે કામ ક્રોધ ન વાર્યારે
ભણે નરસૈયો તેનું દર્શન કરતા કુળ એકોતેર તાર્યારે...


- નરસિંહ મહેતા