Showing posts with label હરીન્દ્ર દવે. Show all posts
Showing posts with label હરીન્દ્ર દવે. Show all posts

Wednesday, May 29, 2013

બધી દીવાનગીના મૂળમાં લયલા નથી હોતી...

હું  એને  પામું  છું  એની  નિશાની  જ્યાં  નથી હોતી,
નિહાળું  છું  હું  એક  તસવીર  ને  રેખા  નથી  હોતી!
        
જીવન પુસ્તક મહીં આ પ્રેમ પણ અંતિમ વચન ક્યાં છે?
બધી   દીવાનગીના   મૂળમાં   લયલા  નથી   હોતી.
             
ઘણી  બેચેન  ગાળું  છું  હું તુજ  ઈતબારની ઘડીઓ,
પ્રણય  પણ  ક્યાં  રહે  છે  જે પળે  શંકા નથી હોતી.
       
એ  મંઝિલ  ક્યારની ગૂજરી  ગઈ, બેધ્યાન હમરાહી!
હવે   ખેંચાણના   કારણમાં   સુંદરતા   નથી  હોતી.
          
તમારી   યાદના   રંગીન  વનની  મ્હેંકના   સોગંદ,
બહાર આવે છે ઉપવનમાં  છતાં  શોભા  નથી હોતી.
         
પ્રભુનું   પાત્ર  કલ્પી  લઈને  હું  આગળ  વધારું  છું,
વિકસવાની  જગા  જો  મુજ  કહાનીમાં  નથી  હોતી.
         
કરી    સંહારનું   સાધન   હું  અજમાવી  લઉં  એને,
કદી  સર્જનની  શક્તિ  માંહે  જો શ્રધ્ધા  નથી હોતી.  
          
- હરીન્દ્ર દવે

Tuesday, May 14, 2013

પુસ્તક ....

સૂર તો નથી પરંતુ સૂરનો ઉઘાડ છું
, ભાષા ન ઓળખે એ શબ્દનો પ્રકાર છું .....
– મધુમતી મહેતા

પુસ્તકોનો પ્રચાર જો ઓછો થતો હોય, તો તેનું કારણ એ નથી કે વિશાળ જનસમુદાય પુસ્તક વાંચતો નથી; એનું કારણ એ છે કે પ્રજા પાસે જે પુસ્તકો આવે છે તે "લખાયેલાં" નથી હોતાં, પણ માત્ર "છપાયેલાં" જ હોય છે. કોઈ પણ પુસ્તક વંચાય તે માટે પ્રથમ તો એ ખરેખર "લખાયેલું" હોવું જોઈએ. પુસ્તક વિચારાયું પણ હોવું જોઈએ, એનું સાચેસાચ સર્જન થયું હોવું જોઈએ. પુસ્તકનું ભાવિ તેના લેખનની કાવ્યમયતા સાથે, આલેખનશક્તિ અને કલ્પનાશીલતા સાથે સંકળાયેલું છે. પુસ્તક "લખવા"માં જો આપણે સફળ થઈશું, તો તેનું ભાવિ નિશ્ચિત છે; પણ જો તેને માત્ર છાપીને જ આપણે સંતોષ માનશું, તો એ નાશ પામશે.



- આલ્બેર્ટો મોરાવીયા

હું  એને  પામું  છું  એની  નિશાની  જ્યાં  નથી હોતી,
નિહાળું  છું  હું  એક  તસવીર  ને  રેખા  નથી  હોતી!
       
જીવન પુસ્તક મહીં આ પ્રેમ પણ અંતિમ વચન ક્યાં છે?
બધી   દીવાનગીના   મૂળમાં   લયલા  નથી   હોતી.
- હરીન્દ્ર દવે

Sunday, April 15, 2012

જાણીબૂઝીને અમે અળગાં ચાલ્યાં ને છતાં
પાલવ અડક્યાનો મને વ્હેમ છે

સાવ રે સફાળા તમે ચોંકી ઉઠ્યાને, પછી
ઠીક થઇ પૂછ્યું કે કેમ છે’ ?

આટલા અબોલા પછી આવો સવાલ, કહો
કેમ કરી ઊતરવું પાનું?

મૂંગા રહીએ તો તમે કારણ માનો ને, હોઠ
ખોલીએ તો બોલવાનું બ્હાનું !

હું તો બોલીશ છતાં માનશો તમે કે
હજી દુનિયા આ મારી હેમખેમ છે !

વાયરાથી નળિયાને ફૂટી છે પાંખ, થઇ
ચાલતી દીવાલ થકી ઇંટો ?

ભર રે ચોમાસે હવે છાપરા વિનાનો, કેમ
કોરો રહે સ્મરણોનો વીંટો ?

દુનિયાની વાત મૂકો, માનશો તમે કે, હજી
આપણી વચાળે જરી પ્રેમ છે ? ........

- હરીન્દ્ર દવે

Tuesday, December 27, 2011

આજની રાત હું ઉદાસ છું ...

રાત્રિને કહો કે આજે
એની ચમકતી ટીપકીઓવાળી ઓઢણી ઓઢે,
રસ્તાને કહો કે ધીમે ધીમે ઊઘડતા
ફૂલની પાંખડી માફક એ સામો આવે,
વૃક્ષોને કહો કે એના પર્ણોમાં
એ કોઇ અજબની રાગિણી વગાડે.
હવાને કહો કે આજની રાત એ ધીમેથી લહેરાય -

આજની રાત હું ઉદાસ છું
અને મારે સૌને પુલકિત કરે એવું ગીત રચવું છે

બ્રહમાંડમાં બજી રહેલું અલૌકિક સંગીત
મારા કાને ન અથડાય એવું કરો,
મારે તરણાંએ પહેરેલાં ઝાકળનાં
નેપૂર સાંભળવા છે;
મધદરિયે મોજાંને પહેરાવેલા વલય
મારે ઉતારી લેવા છે;
વાદળથી ધરતી સુધી લંબાતા વરસાદના તારને
બે હાથ લંબાવી માપી લેવા છે;

આજની રાત હું ઉદાસ છું
અને મારી ખોવાયેલી પ્રસન્નતા
મારે સર્વત્ર વહેંચાયેલી જોવી છે

મિલના ઊંચા ભૂંગળાને કોઇ ચંદનની
અગરબત્તીમાં પલટાવી દો,
સિમેંટ-કોંક્રિટનાં મકાનોને કોઇ સરુવનમાં
ફેરવી દો;
આંખની કીકીઓને કોઇ ચંદ્ર પર ચિટકાડી દો;
માણસોનાં ટોળાંને કોઇ સાગરની લહેરોમાં
લહેરાવી દો;

આજની રાત હું ઉદાસ છું અને
મારે ખડખડાટ હસી લેવું છે..............

– હરીન્દ્ર દવે