Showing posts with label હનીફ સાહિલ. Show all posts
Showing posts with label હનીફ સાહિલ. Show all posts

Friday, September 28, 2012

દુખ...

કહેવાય છે - "દુખ જીવનમાં અનિવાર્ય છે " -  આ આપણે બધા જાણીએ છીએ. 
પરંતુ - "દુખી થવુ અનિવાર્ય નથી ... "  - આ પણ જાણીએ છીએ. છતાં જ્યારે દુખ આવી પડે ત્યારે બધી જાણકારી વરસાદમાં કાચો રંગ ધોવાય એમ ધોવાઈ જાય છે. 

આજેપણ શ્રી કુન્દનિકા કાપડીઆની "પરોઢ થતા પહેલા" માંથી  થોડાક વધુ અંશો ... સબજેક્ટ છે  "દુખ"  ....

*********************************************
- બધુ સુષ્ઠુ સુષ્ઠુ, રુ જેવુ નરમ નરમ, મધ જેવું મીઠુ મીઠુ નથી,  હોઈ શકે નહી, હોવુ જરુરી પણ નથી.
દુનિયાનું સાચુ સ્વરુપ એટલે માણસના નિમ્ન નિકૃષ્ટ રુપનો પરિચય તેમ નહી, પણ માણ્સના મનની અતાગ  સૃષ્ટી ... તેના ભયો,  ઈચ્છાઓ, વિજયો, કારુણ્યો, ભૌતિકતા અને ઉર્ધ્વ આરોહણની કામના આ બધા વિવિધ ને વિરોધી તત્વોની પરસ્પર ક્રિયામાંથી નિર્મિત થતાં, જીવનના લાખો કરોડો સ્વરુપો .....

- શું માણસને દુખ આવી પડે ત્યારે જ એનુ સાચુ સ્વરુપ પ્રગટ થાય છે? ત્યારે જ તે પોતાના યથાર્થ રુપને પામે છે? અને દુખ શુ એટલા માટે જ આવે છે કે માણસ પોતાના સાચા સ્વરુપ ને પામી શકે?

દુખ કદાચ માણસને તેના સાચા સ્વરુપની પીછાણ આપવ આવે છે. પણ દુખથી ભય પામીને માણસ તરત તેમાંથી છુટવાનો પ્રયત્ન કરે છે.

દુખમાંથી નાસી છુટવાને બદલે, એના ઘોર એકાંતની વચ્ચે બેસી, માણસ પોતાની ગાઢ અતલ એકલતામાં પોતાના સાચા સ્વરુપનો સાચો પરિચય મેળવી લે તો દુખની કામગીરી પૂરી થાય.. તો તે ફરી ફરી ધ્વારે આવી ઉભુ ન રહે  .... કદાચ ....

- વૃક્ષને પણ એની ઋતુઓ છે ... આવાગમન ના ચક્રો છે. માર્ચ મહિનાનો ફૂલ ભરેલો આનંદ અને હેમંતની સૂની એકલવાઈ ડાળીઓમાં ભારે પગલે પસાર થતી ઘડીઓ છે. એક પછી એક તેના બધા પાન ખરી પડશે ત્યારે પણ તે રાહ જોઈ શકશે, કારણ કે તેને ખબર છે થોડા સમય પછી ફરી તેના અંગોમાં નવા રંગોની મંજરી ખીલી ઉઠશે.

માણસ આવી રાહ જોઈ શકતો નથી. કારણ કે તેના ચક્રો વૃક્ષના ચક્રો જેટલા નિયમિત નથી. તે વધુ સભાન અને વધુ ગતિશીલ છે. એથી જ શું તેનુ જીવન અસ્થિર અને અનિશ્ચિત હશે ?

દુખના ભારથી જ માણસ કચડાઈ જાય છે અને પોતાના સઘળા સુંદર અંશો ગુમાવી દે તેમ પણ બને. પણ જીવન વિષે જેનામાં થોડી ગંભીરતા છે તેમને માટે દુખ હંમેશા એક વિશેષ સંકેત લઈને આવતું  હોય છે.

આ રીતે દુખ જીવનની એક બહુ મૂલ્યવાન વસ્તુ છે. સુખ આપણને ઉંઘાડી દે છે. દુખ ધક્કો મારીને જગાડે છે. માણસને માથે દુખ આવી પડે ત્યારે હજારો ઈચ્છાઓ ને પદાર્થની શોધમાં દોડતુ તેનુ મન ઘડીભર અટકી જાય છે. પોતાની તરફ પાછુ વળે છે અને પૂછે છે - આવુ કેમ થયુ? આવુ મારા જ સંબંધ માં કેમ બન્યુ? બીજીપણ ઘણી વસ્તુની જેમ દુખમાં અનેક અર્થો રહેલા છે અને આપણે દુખની પીડામાં અટકી ના જઈએ તો એ અર્થ આપણને સમ્જાવા લાગે છે.

અને દરેક માણસ માટે એનો માર્ગ જુદો હોય છે. એ દરેકે જાતે શોધી લેવાનો હોય છે.

*********************************************
 અને છેલ્લે ,

હું ગુનાશોધક છુ મારા પર બધા ભેદો ખૂલે,
કે ટકોરા મારતો ચાલુ ને દરવાજો ખૂલે

હાથ લંબાવીશ તો ટૂટી જશે ભ્રમણાની ભીંત
આ વધેલા મારા નખથી કંઈક ચહેરાઓ ખૂલે.

ક્યારનો અટવાઉ છુ અર્થોના લેબેરિન્થમાં
કોઈ તો ચાવી મળે કે કોઈ તો રસ્તો ખૂલે ... 

- હનીફ સાહિલ