Showing posts with label Gujarati article. Show all posts
Showing posts with label Gujarati article. Show all posts

Thursday, June 6, 2013

નજરથી દૂર છે તોય ...

"પ્રેમનું સાચુ સરનામું માણસનુ હ્ર્દય છે ....... "
 
પ્રેમ... વ્યાખ્યાઓ તોડી નથી રહ્યો, વ્યાખ્યાઓને તોડીફોડી રહ્યો છે. પહેલા અને હવે-ની વચ્ચે ઝોલાં ખાય છે. બે વ્યક્તિઓ પ્રેમમાં પડે છે ત્યારે શરીર નડે છે. હવે બે વ્યક્તિઓ પ્રેમમાં પડે છે ત્યારે શરીર સિવાય બધું જ નડે છે. એક બાજુ સંબંધો ફળદ્રુપ થતા જાય છે, બીજી બાજુ પ્રેમ કદરુપો થતો જાય છે. પહેલાં પ્રેમના કિસ્સાઓ સાંભળવા મળતાં હવે પ્રેમ કિસ્સાઓમાં સાંભળવા મળે છે. સપનું જલ્લાદ બને છે અને પ્રેમ જલદ બને છે. આત્માની સુગંધ આજકાલ પ્રેમમાં ઝડપથી ફોરવર્ડ અને ડીલીટ થઈ જાય છે.......


નજરથી દૂર છે તોય છે ટાઢક બધી બાજુ,
પ્રવેશી ઝાંઝવામાં કઈ રીતે છાલક બધી બાજુ?

ઉઘાડી આંખથી જોઉં કે જોઉં બંધ આંખોથી,
સતત ચાલી રહ્યુ છે ક્યારનું નાટક બધી બાજુ,

નથી પહોંચી શક્યા એ ક્યાંય તોપણ કાર્યરત કેવા?
ઊભા રહીને ગતિમાં હોય છે ફાટક બધી બાજુ.

તરસ વરસાદની ઓછી થતી ગઈ છે જીવનમાંથી,
જીવે છે આંસુઓ પીને હવે હવે ચાતક બધી બાજુ.

અવાચક થઈ ઉભાં છે કોઈ જોતું નથી સામે,
હવે ધૂળમાં પલળતાં હોય છે સ્મારક બધી બાજુ....



દુનિયાને કાયમ
ચર્ચામાં રહેવાની ટેવ છે.
બીજાના 'અંગત'માં ડોકિયું કરવાની એને મઝા પડે છે.
દુનિયા પોતા પર રડે છે બીજા ઉપર હસે છે.
પ્રેમ માલિકીભાવને અતિક્રમે છે.......


- અંકિત ત્રિવેદી
'પ્રેમનો પાસવર્ડ' માંથી ....

Thursday, May 30, 2013

તું તું જ છે અને હું પણ તું જ છું ...

હમણાં થોડા દિવસ પહેલાં જ મેં કહેલુ કે "પ્રેમ"ની વાત આવે એટ્લે નો કોમેન્ટ્સ પ્લીઝ કહી દેવુ સારું. છતાંપણ આ  સબજેક્ટ જ એટ્લો મીઠો છે કે વારે વારે એની વાત છેડવામાં મજા આવે. અને આવે પણ કેમ નહી એના પર અઢળક લખાયુ છે અને લખાઈ રહ્યુ છે. તો આપણે એનો લ્હાવો લેવામાં શુ કામ પાછળ રહી જવુ જોઈએ!  ........................


પ્રેમને સમજવો છે તો શાસ્ત્રો ઓછા પડશે,
પ્રેમને પામવો છે તો બે આંખો કાફી છે ....

"પ્રેમ એકાંતની ઈજ્જ્ત કરતા શીખવાડે છે. બોલકો માણસ પણ ચુપકીદીને વ્હાલ કરે ત્યારે પ્રેમની પૂનમ હ્રદયના આકાશમાં સોળે કળાએ ખીલે છે... પ્રેમ દુનિયાને કરવાનો હોય છે. દુનિયામાં રહીને કરવાનો હોય છે... પ્રેમના ગણિતને કારણો પોસાય એવાં છે જ નહી. એનો લ.સા.અ.(લઘુત્તમ સામાન્ય અવયવ) અને ગુ.સા.અ.(ગુરુત્તમ સામાન્ય અવયવ) એક જ છે - એકબીજાને ગમવું! એ તો 'કારણ નહી જ આપું, કારણ મને ગમે છે' એમાં જ માને છે ...

તું તું જ છે અને હું પણ તું જ છું ...

- અંકિત ત્રિવેદી,
'પ્રેમનો પાસવર્ડ' માંથી ....

અને  છેલ્લે ,

હેડકી  સુધ્ધા  તને આવે  નહી ,
યાદ  ચૂપકેથી  એમ  કરતો  રહ્યો ....

- કિરણસિંહ  ચૌહાણ 
 
 

Tuesday, May 14, 2013

પુસ્તક ....

સૂર તો નથી પરંતુ સૂરનો ઉઘાડ છું
, ભાષા ન ઓળખે એ શબ્દનો પ્રકાર છું .....
– મધુમતી મહેતા

પુસ્તકોનો પ્રચાર જો ઓછો થતો હોય, તો તેનું કારણ એ નથી કે વિશાળ જનસમુદાય પુસ્તક વાંચતો નથી; એનું કારણ એ છે કે પ્રજા પાસે જે પુસ્તકો આવે છે તે "લખાયેલાં" નથી હોતાં, પણ માત્ર "છપાયેલાં" જ હોય છે. કોઈ પણ પુસ્તક વંચાય તે માટે પ્રથમ તો એ ખરેખર "લખાયેલું" હોવું જોઈએ. પુસ્તક વિચારાયું પણ હોવું જોઈએ, એનું સાચેસાચ સર્જન થયું હોવું જોઈએ. પુસ્તકનું ભાવિ તેના લેખનની કાવ્યમયતા સાથે, આલેખનશક્તિ અને કલ્પનાશીલતા સાથે સંકળાયેલું છે. પુસ્તક "લખવા"માં જો આપણે સફળ થઈશું, તો તેનું ભાવિ નિશ્ચિત છે; પણ જો તેને માત્ર છાપીને જ આપણે સંતોષ માનશું, તો એ નાશ પામશે.



- આલ્બેર્ટો મોરાવીયા

હું  એને  પામું  છું  એની  નિશાની  જ્યાં  નથી હોતી,
નિહાળું  છું  હું  એક  તસવીર  ને  રેખા  નથી  હોતી!
       
જીવન પુસ્તક મહીં આ પ્રેમ પણ અંતિમ વચન ક્યાં છે?
બધી   દીવાનગીના   મૂળમાં   લયલા  નથી   હોતી.
- હરીન્દ્ર દવે

Wednesday, May 8, 2013

છેલ્લી એક તક આપી દે...

"મૄત્યુ" શબ્દ બહુ ડરાવનો છે. એ હકીકતથી આપણે સહુ સારી રીતે વાકેફ છીએ કે જે જન્મે છે એ મરે પણ છે જ. પરંતુ આપણને એ નથી ખબર કે કઈ ઘડીએ આપણા શ્વાસ અટકી જવાના છે અને એક્ઝેક્ટલી ક્યારે આપણે આ ધરતી પરની યાત્રા પૂરી કરીને ઉપર તરફ પ્રયાણ કરવાનુ છે. અને એટલે જ એક ડર રહે છે. ઘરની બહાર સહેજ આટો મારવા જઈએ તો પણ "જરા જઈને આવુ છુ" એમ કહીને જઈએ છીએ. અરે! ચેટ પર દોસ્તો ને "બાય ફોર નાઉ" કહીને છુટા પડીએ છીએ. પણ જીવનની અંતિમ પળોમાં અને મૃત્યુ જેવી મહાયાત્રા કરવા જતા હોઈએ ત્યારે "આવજો" કહેવાનો ટાઈમ પણ એ આપતુ નથી. બસ ક્ષણભરમાં તો આપણે હતા ન હતા થઈ જઈએ છીએ. તો શુ કરવાનુ? ગીતામાં અમસ્તુ કીધુ છે કે કાલની ચિંતા છોડ અને આજમાં જીવ. જે કહેવાનુ છે, જે કરવાનુ છે એ આજે અને અત્યારે કહી દો કે કરી દો કાલે કદાચ તમે ના પણ હો ... આવી જ કઈ વાર્તા છે નીચેની શોર્ટ સ્ટોરીમાં..... જરા ધ્યાનથી વાંચજો અને એનાથી વધારે ધ્યાનથી સમજજો ...

કદાચિત્ મોત આવે એ પછી થઈ જાય એ પૂરી,
હજી હમણાં સુધી તો જિંદગી મારી અધૂરી છે.....


- બરકત વીરાણી ‘બેફામ’

રોજના જેવી જ એ સવાર હતી. મારે ઓફીસે જવાનું હતું.
આંગણામાં પડેલું છાપું ઉઠાવી મેં પહેલા અને છેલ્લા પાના પરના અગત્યના સમાચાર પર નજર નાંખી.
છેલ્લા પાના પર મારી તસ્વીર જોઈ હું ચોંકી ઉઠ્યો.

એ મારા અવસાનના સમાચાર હતા! મને એકદમ આઘાત લાગ્યો.

‘હા! કાલે રાતે સુતો હતો, ત્યારે છાતીમાં થોડુંક દુખતું હતું ખરું. પણ પછી તો હું ઘસઘસાટ ઉંઘી ગયો હતો ને?‘

હું ઘડીયાળ તરફ નજર કરું છું. ‘અરે! દસ વાગી ગયા છે?
મારી ચા ક્યાં છે? અરે! મારે ઓફીસ જવાનું કેટલું મોડું થઈ ગયું છે?
મારો બોસ મારી ઉપર ખીજાશે. બધાં ક્યાં જતા રહ્યાં? મારા આ રુમની બહાર બધા કેમ ભેગા થયા લાગે છે?’
‘અરે ! આટલા બધા લોકો? ચોક્કસ કાંઈક ગરબડ લાગે છે. અરે! કોઈક રડી રહ્યા છે. બીજા ચુપચાપ ઉભા છે.’
‘અરે! આ શું? મારું શરીર તો ફર્શ પર પડેલું છે. અરે! બધા સાંભળો હું તો અહીં છું, એ શરીરમાં નથી.’
ક્યાં કોઈ મને સાંભળે છે! અલ્યાઓ! 'હું મુઓ નથી, જુઓ આ રહ્યો.’

મેં કરાંઝીને રાડ પાડી. પણ કોઈએ કશું સાંભળ્યું જ નહીં. કોઈને મારામાં રસ હોય તેમ ન લાગ્યું.
બધા નીશ્ચેતન પડેલા મારા શરીર તરફ શોકથી જોઈ રહ્યા હતા. હું ફરી મારા સુવાના ઓરડામાં ગયો.

મેં મારી જાતને પુછ્યું, ‘શું હું ખરેખર મરી ગયો છું?
અરે! મારી પત્ની, મારું બાળક, મારાં મા બાપ, મારા મીત્રો – બધાં ક્યાં છે?’

બાજુના ઓરડામાં ગયો, બધા ત્યા રડી રહ્યાં હતાં; એકમેકને આશ્વાસન આપી રહ્યાં હતાં.
મારી પત્ની સૌથી વધારે આક્રંદ કરી રહી હતી. તેને સૌથી વધારે દુખ થતું હોય તેમ જણાતું હતું.
મારા નાનકડા પુત્રને આ શું થઈ રહ્યું છે, તેની કાંઈ સમજણ પડતી હોય તેમ ન લાગ્યું.
પણ તેની મા રડી રહી હતી, એટલે તે પણ રડતો હોય તેમ લાગ્યું.

‘અરે, મારા એ વહાલસોયાને હું બહુ જ પ્રેમ કરું છું, એમ કહ્યા વીના હું શી રીતે વીદાય લઈ શકું?

મારી પત્નીએ મારી કેટલી બધી સંભાળ લીધી છે, તેમ કહ્યા વગર હું શી રીતે મરી શકું? એક વાર તો એને હું કહી દઉં કે હું તેને અત્યંત ચાહું છું.

માબાપને એક વાર તો કહી દઉં કે હું જે કાંઈ પણ હતો તે તેમના કારણે હતો.

મારા મીત્રો વીના મેં જીવનમાં ઘણી ભુલો કરી હોત; એમ એમને કહ્યા વીના,

હું કઈ રીતે વીદાય લઉં? એ લોકોને મારી ખરેખર જરુર હતી, ત્યારે હું તેમના કશા કામમાં આવ્યો નથી;
એની દીલગીરી વ્યક્ત કર્યા વીના હું શી રીતે મરી શકું? જોને પેલા ખુણામાં કોઈક છાનાં આંસુ સારી રહ્યો છે.

અરે! એ તો એક જમાનામાં મારો જીગરી દોસ્ત હતો.
સાવ નાકકડા મતભેદ અને ગેરસમજુતીના કારણે અમે બે છુટા પડ્યા; અને અમારા અહમના કારણે કદી ભેળા જ ન થયા.’
હું તેની પાસે ગયો અને મારો હાથ તેની તરફ લંબાવ્યો.

મારે તેને મારી દીલગીરી સમજાવવી હતી. ફરી એના જીગરી બની જવું હતું. ‘મારા દોસ્ત! મને માફ કરી દે.’એમ કહેવું હતું.

‘અરેરે! એને મારો હાથ દેખાતો નથી? એ કેવો નીષ્ઠુર છે? હું આટલી સરળતાથી મારું હૈયું ઠાલવી રહ્યો છું, તો પણ એ હજી કેટલો અભીમાની છે? ખરેખર, મારે આવા લોકો માટે લાગણીવશ ન થવું જોઈએ.

પણ એક સેકન્ડ. કદાચ એને મારો હાથ નહીં દેખાતો હોય?
ભુલ્યો! મારું શરીર તો બહારના ઓરડામાં પડેલું છે ને? ઓ ભલા ભગવાન! હું તો ખરેખર મરી જ ગયો છું.‘

હું મારા શબની બાજુમાં બેઠો. મને બરાબરનું રડવું આવી ગયું.

‘અરે મારા ભલા ભગવાન! મને બસ થોડાક દીવસ જીવતો કરી નાંખ.
હું મારી પત્ની, મારાં માબાપ, મારા મીત્રો એ બધાંને એક વખત સમજાવી દઉં કે એ બધાં મને કેટલાં વહાલાં છે?‘

એટલામાં મારી પત્ની મારી બાજુમાં આવી પહોંચી. એ કેટલી સુંદર દેખાય છે?
હું બરાડી ઉઠું છું, ’અલી એ! તું ખરેખર સુંદર છે!”

પણ એને ક્યાં મારા શબ્દો સંભળાય છે?

’મેં કદી એને એવા શબ્દો પ્રેમથી કહ્યા હતા ખરા?‘

હું મોટી ચીસ પાડી દઉં છું, ”અરે ભગવાન! મહેરબાની કરીને મને થોડોક સમય જીવતો કરી દે!‘

હું રડી પડું છું.

‘મને એક જ છેલ્લી તક આપી દે મારા વહાલા! હું મારા વહાલસોયા બાળકને ભેટી લઉં. મારી માને છેવટનું એક સ્મીત આપી દઉં. મારા બાપને મારા માટે ગૌરવ થાય એવા બે શબ્દ એમને કહી દઉં. મારા બધા મીત્રોને મેં જે કાંઈ નથી આપ્યું,
એ માટે એમની દીલગીરી માંગી લઉં. મારા જીવનમાં હજી રહેવા માટે એમનો આભાર માની લઉં.’

મેં ઉંચે જોયું અને હું ચોધાર આંસુએ રડી પડ્યો. મેં ફરી એક પોક મુકી....
અરે પ્રભુ, મને છેલ્લી એક તક આપી દે, મારા વહાલા!’

------------------------------------------------------------------------- ------------

મારી પત્નીએ મને હળવેથી જગાડ્યો અને વહાલથી કહ્યું,

"તમે ઉંઘમાં આમ કેમ રડી રહ્યા છો? તમને કંઈ થાય છે? તમને ખરાબ સપનું આવ્યું લાગે છે!”........

‘અરે, હું જીવું છું. મારી પત્ની મને સાંભળી શકે છે. ‘

મારા જીવનની આ સૌથી સુખદ પળ હતી.


અને છેલ્લે ...

 - '' એક સાથે ચીજ બે બેફામ પકડાઈ નહીં;
   મોત આવ્યું હાથમાં તો જિંદગી છૂટી ગઈ..... ''


"જીવનની મોકળાશની મૃત્યુથી જાણ થઈ,
    ઘર જેટલી વિશાળ કોઈની કબર નથી...." 

- બરકત વીરાણી ‘બેફામ’

Friday, February 22, 2013

મને એવું અવારનવાર થાય છે..

કોઈ કોઈનું દુખ લઈ શકે અને કોઈ કોઈને સુખ આપી શકે
એવી આપણી ગમે એવી ભાવના-વિભાવના હોય પણ બનતું નથી.
કેવળ ભાવનાથી જીવાતું નથી એમ શાણાઓ કહે છે અને એ
લોકો ખોટા છે એવું કહેવામાં પણ મને રસ નથી કારણ કે
એમની વાણીમાં એમનો અનુભવ અને અનુભૂતિ છે.
પણ મને એવું અવારનવાર થાય છે કે જો હું આ દુખમાં
ગળાડૂબ વ્યક્તિને કોઈ પણ રીતે ઉગારીશું તો કેવું!
કોઈને ચિક્કાર આર્થિક ભીડ છે તો કોઈકને રહેવા માટે
ઘર નથી. કોઈને પોતાનું કહેવા માટે પોતાનું જણ નથી.
ખભે મૂકીને રડી શકે એવું સાચું ખોટું સગપણ નથી.
ક્યાં સુધી આપણે આપણા કહેવાતા સુખના વાઘા પહેરીને
ચાલ્યા કરશું? ક્યારેક તો આપણે એમની નગ્નતાને ત્વચાની
જેમ પહેરી લઈએ અને અનુભવીએ કે લોકો
અંદરથી સતત કેટલું આમ ને આમ દાઝ્યા કરે છે.

- સુરેશ દલાલ

Sunday, February 3, 2013

હસતો રહ્યો...

જાન્યુઆરી ૨૦૧૩માં "સરવાણી" ને બે વર્ષ પૂરા થયા. બે વર્ષ અને  ૨૯૦ પોસ્ટ. બ્લોગ વંચાય છે અને રેગ્યુલર વંચાય છે ..... એ જોઈને  આનંદ છે .....સરવાણીના સંપર્કમાં રહેવા બદલ આભાર .... આ વર્ષે પણ કંઈક સારુ અને શ્રેષ્ઠ અહીં મૂકી શકુ એવા પ્રયત્ન સાથે  જમિયતરાય પંડ્યાની એક સુંદર રચના લેખક જય વસાવડાની બુક "જય હો!" માંથી ....

દુનિયામાં કોઈ માણસ પીડાથી દર્દ્થી મુક્ત નથી.  Pain is part of our Life... એક પીડા જાય તો બીજી તૈયાર હોય છે  અને કેટલીક પીડા કાયમ માટેની જ હોય છે. એવી પીડાથી ડરવા કરતા  એને સ્વીકારીને એની સાથે જીવાવાની આદત પાડી દેવાય તો જ કદા્ચ એમાંથી થોડી રાહત મળી શકે ... અને એવી પીડા સાથે જો તમે તેના પર હસી શકો તો  જીવનની યુનિર્વસિટિમાં કદાચ બેચલરની ડીગ્રી તો પોતાના નામે કરી જ શકો ... આવો જ કંઈક કોન્સેપ્ટ છે નીચેની કવિતામાં ...

જીત પર હસતો રહ્યો ને હાર પર હસતો રહ્યો 
ફૂલની શૈયા ગણી અંગાર પર હસતો રહ્યો

ઓ મુસીબત એટલી ઝિંદાદિલીને દાદ દે,
તેં ધરી તલવાર તો હું ધાર પર હસતો રહ્યો.

કોઈના ઇકરાર ને ઇન્કાર પર હસતો રહ્યો 
જે મળ્યો આધાર એ આધાર પર હસતો રહ્યો 

કોઈની મહેફિલ મહીં થોડા ખુશામદખોરમાં
ના સ્વીકર્યુ સ્થાન ને પગથાર પર હસતો રહ્યો 

ફૂલ આપ્યા ને મળ્યા પથ્થર કદી તેને પણ
પ્રેમથી પારસ ગણી દાતાર પર હસતો રહ્યો

જીવતો દાટી કબરમાં એ પછી રડતા રહ્યાં
હું કબરમાં પણ, કરેલા પ્યાર પર હસતો રહ્યો 

નાવ જે મઝ્ધાર પર છોડી મને ચાલી ગઈ
એ કિનારે જઈ ડૂબે હું ધાર પર હસતો રહ્યો 

ભોમિયાને પરકો આધાર લેતો જોઈને
દૂર જઈ એ પાંગળી વણઝાર પર હસતો રહ્યો ...

- જમિયતરાય પંડ્યા    

અને છેલ્લે -

' દરેક પીડા કાં તો તીવ્ર કાંતો અલ્પ માત્રામાં હોય છે.
જો એ અલ્પ હશે તો આસાનીથી સહન થઈ શકશે
અને જો તીવ્ર હશે તો એ લાંબી ટકી જ ન શકે - એમાં બે મત નથી!' 

- સિસેરો

Wednesday, December 12, 2012

સહજવૃત્તિ...

સહજ્વૃત્તિ હંમેશા ન્યાયી હોય છે અને તે હંમેશા પ્રાકૃતિક અને સહજ માર્ગ બતાવે છે.

બેશક જો દરેક વ્યક્તિ સહજવૃત્તિને અનુસરતી હોય તો કોઈ ધર્મની જરુર ના રહે, કોઈ ઈશ્વર, કોઈ પુરોહિતની જરુર ના પડે.  પશુઓને ઈશ્વરની જરુર પડતી નથી. તેઓ સુખી જ છે - મને લાગતું નથી કે તેમને કોઈ ઈશ્વરનો અભાવ સાલતો હોય. એક પણ પ્રાણી, એક પણ પક્ષી, એકપણ વૃક્ષને ઈશ્વરનો અભાવ સાલતો નથી. તેઓ જીવનને તેની તમામ સુંદરતા અને સરળતા સાથે અને નરકના ભય કે સ્વર્ગની લાલસા વિના કે કોઈપણ પ્રકારના દર્શનિક મતભેદ વિના માણી રહ્યા છે. તેમનામાં કોઈ કેથલિક સિંહો નથી કે કોઈ પ્રોટેસ્ટન્ટ કે હિંદુ સિંહો નથી.


સમગ્ર અસ્તિત્વ કદાચ મનુશ્ય સામે હસતું હશે - માણસજાત સાથે જે બન્યુ છે તે જોઈને હસતુ હશે - જો પક્ષીઓ ધર્મ વિના, દેવળો વિના, મસ્જિદો અને મંદિરો વિના જીવી શકતા હોય તો મનુષ્ય શા માટે જીવી ના શકે?

- ઓશો


ઈચ્છાથી પર અરુપ અનામ
અજન્મા; સચ્ચિદાનંદ પરમધામ
વ્યાપક વિશ્વરુપ ભગવાન
વિધવિધ દેહમાં એનું સ્થાન

- તુલસીદાસ

Wednesday, November 14, 2012

સાલમુબારક ...........

સરવાણીને વાંચતા હોય અને જે ના વાંચતા હોય એ તમામ લોકો ને પણ સરવાણી તરફથી નવાવર્ષની ખૂબ ખૂબ ખૂબ શુભકામનાઓ ..... :-)

 જુના વર્ષના નાના-મોટા  ખોટા-માઠા-નગમતા પ્રસંગોને ભુલીને જીવનમાં નવી તાજગી પૂરવા માટે નવુ વર્ષ તો કદાચ એક બહાનુ જ હશે ..... આશા રાખુ છુ કે આવનાર નવા વર્ષમાં આપણે પણ શ્રી સુરેશ દલાલની આ વિવિધ ઝંખનામાંથી કોઈક એકાદી ઝંખનાને જીવી શકીએ અને જીવનને સાર્થક કરી શકીએ ...................


"ધુમ્મસ હોય ત્યારે સૂર્યનું કિરણ થવામાં મને રસ છે. મને રસ છે બે કાંઠાને જોડતા સેતુ થવામાં. દીવાલોનો મને થાક છે, કંટાળો છે. વાદળો ઘેરાય તો ભલે ઘેરાય - પણ એ વરસે અને વહાલ થઈને વેરાય એવી મારી વાસના છે. કોઈને ચાલવું હોય તો રસ્તો થવામાં મને રસ છે. મને નિસબત છે કે કોઈકના રસ્તા પર હું વૃક્ષનો છાંયો થઈને પથરાઈ જાઊં. એને તરસ લાગે ત્યારે ફૂલની પિયાલીમાં જળ પાઉં. એવુ જળ કે એની તરસ છિપાય અને એને અમૃતનો અનુભવ થાય. જ્યાં બરફ જ પડતો હોય ત્યાં હું તાપણું થાઉં. એ મારી અંગત તરસ છે. કોઈક નાનકડા બાળકની આંખમાં સ્વપ્ન થઈને જાગું અને એના હોઠ પરનું સ્મિત થઈને છલકાઉં. સમય જ્યારે નિર્જન સીમ હોય ત્યારે ટહુકી ઊઠું પંખી થઈને. નીરવતા અને હું બન્ને ઝંકૃત થઈ જઈએ. સરોવરમાં હંસ થઈને તરવાની અને  ઊઘડતા કમળની સૌરભ સાથે ગૂફતેગૂ કરવાની મને ઝંખના છે ".... 

- સુરેશ દલાલ

સાલમુબારક ...........

Wednesday, October 3, 2012

સત્ય અને અહિંસા

"સત્યથી ભિન્ન કોઈ પરમેશ્વર હોય એવુ મેં નથી અનુભવ્યુ. સત્યમય થવાને સારુ અહિંસા એ જ એક 
માર્ગ છે ...."

"આત્મશુધ્ધિ વિના જીવમાત્રની સાથે ઐક્ય ન જ સધાય. આત્મશુધ્ધિ વિના અહિંસાધર્મનું પાલન સર્વથા અસંભવિત છે. "

"શુધ્ધ થવુ એટલે મનથી, વચનથી ને કાયાથી નિર્વિકાર થવું, રાગધ્વેષાદિરહિત થવું. એ નિર્વિકારતાને પહોંચવાને પ્રતિક્ષણ મથતા છતાં હું પહોંચ્યો નથી, તેથી લોકોની સ્તુતિ મને ભોળવી શકતી નથી, એ સ્તુતિ ઘણીવાર ડંખે છે. મનના વિકારોને જીતવા જગતને શસ્ત્ર્યુધ્ધથી જીતવા કરતાંય મને કઠિન લાગે છે. ..... "

"અહિંસાએ નમ્રતાની પરાકાષ્ઠા છે.અને એ નમ્રતાવિના મુક્તિ કોઈકાળે નથી ... "

"મારે દુનિયાને નવુ કશુ શીખવવાનુ નથી. સત્ય અને અહિંસા અનાદિકાળથી ચાલ્યા આવે છે. ......"

- મોહનદાસ કરમચંદ ગાંધી.
"સત્યના પ્રયોગો" માંથી કેટલાક અંશો .....


અને છેલ્લે ....

વૈષ્ણવ જનતો તેને કહિયે જે પીડ પરાયી જાણેરે
પરદુઃખે ઉપકાર કરે તોયે મન અભિમાન ન આણેરે...

સકળ લોકમા સહુને વંદે નિંદા ન કરે કેનીરે
વાચ કાછ મન નિશ્ચલ રાખે ધનધન જનની તેનીરે ...

સમ દૃષ્ટીને તૃષ્ણા ત્યાગી પરસ્ત્રી જેને માતરે
જિહ્વા થકી અસત્ય ન બોલે પરધન નવઝાળે હાથરે ...

મોહ માયા વ્યાપે નહિ જેને દૃઢ વૈરાગ્ય જેના મન મારે
રામનામ સૂઁ તાલી લાગી સકલ તીરથ તેના તનમાઁરે ...

વણ લોભીને કપટરહિતછે કામ ક્રોધ ન વાર્યારે
ભણે નરસૈયો તેનું દર્શન કરતા કુળ એકોતેર તાર્યારે...


- નરસિંહ મહેતા