Friday, June 24, 2011

મા મને કોઈ દી સાંભરે નૈ...

કોઈ દી સાંભરે નૈ
મા મને કોઈ દી સાંભરે નૈ
કેવી હશે ને કેવી નૈ
મા મને કોઈ દી સાંભરે નૈ

કોક કોક વાર વળી રમ્મત વચાળે મારા
કાનમામ ગણગણ થાય,
હુ તુ તુ તુની હડિયાપાટીમાં
માનો શબદ સંભળાય-
મા જાણે હિંચકોરતી વઈ ગઈ
હાલાંના સૂર થોડા વેરતી ગઈ….કોઈ દી

શ્રાવણની કોક કોક વે’લી સવારમાં
સાંભરી આવે બા-
પારિજાતકની મીઠી સુગંધ લઈ
વાડીએથી આવતો વા,
દેવને પૂજતી ફૂલ લૈ લૈ
મા એની મ્હેક મ્હેક મેલતી ગઈ….કોઈ દી

સૂવાનાં ખંડને ખૂણે બેસીને કદી
આભમાં મીટ માંડું;
માની આંખો જ જાણે જોઈ રહી છે મને
એમ મન થાય ગાંડું
તગતગ તાકતી ખોળલે લૈ
ગગનમાં એ જ દ્દગ ચોડતી ગૈ….કોઈ દી

કોઈ દી સાંભરે નૈ
મા મને કોઈ દી સાંભરે નૈ
કેવી હશે ને કેવી નૈ
મા મને કોઈ દી સાંભરે નૈ ....

-ઝવેરચંદ મેઘાણી

No comments:

Post a Comment