Thursday, April 14, 2011

ન સાંભળે ...

પથ્થરના બનેલા છે આ રસ્તા, ન સાંભળે
લોહીલુહાણ ચરણોની પીડા ન સાંભળે,

એને કહેવું શું કે જે અષાઢ - શ્રાવણમાં
કેસેટ સાંભળે ને ટહુકા ન સાંભળે,

મળવા ધસેલી એક સરિતાના કાનમાં
દરિયો જે કરે વાત તે મોજાં ન સાંભળે !

વીણા વગાડવી છે પરંતુ સચેત છું
થોડાંક સાંભળે ને ટોળાં ન સાંભળે,

ઘડિયાળ છે જીવંત, સમય તાલબધ્ધ છે
ભીંતોનો દોષ છે જે ટકોરા ન સાંભળે,

એ છે અધીરતા કે ઉપેક્ષા ખબર નથી
આખી ગઝલ સુણે અને મક્તા ન સાંભળે...

- ભગવતીકુમાર શર્મા

No comments:

Post a Comment