Monday, January 24, 2011

Short Story ...+ માણસ છું

વર્ષો પહેલા એક વાર્તા વાંચેલી.... 


એક શહેર હોય છે ને શહેરમાં એક પાદરી હોય છે. પાદરી બહુ ભલા માણસ ને જનસેવામાંજ જીવન વિતાવનારા માણસ. એક દિવસ એમને વિચાર આવે છે કે શહેરમાં તો સુસંસ્ક્રુત અને શિક્ષિત લોકો રહે છે. ખરી જરુરીયાત તો જંગલમા વસતા અબુધ લોકોને છે. એટ્લે પાદરી જાય છે દુરના જંગલમા જ્યા ભયંકર જંગલી લોકો રહેતા હોય છે. જ્યાંના લોકો પ્રાણીઓ તો ઠીક માણસોનુ માંસ પણ મજાથી ખાતા હોય છે.

ગમેતેમ કરીને પેલા પાદરી આવા જંગલી લોકો ની વચ્ચે ટ્કી જાય છે ને ધીમે ધીમે એમને ધર્મના પાઠ ભણાવવાનુ શરુ કરે છે. દિવસો વિતતા જાય છે.  

એક દિવસ પાદરી આમ જ ઉપદેશ આપતા બેઠા હોય છે. આગળ જંગલી લોકોનુ મૉટુ ટોળુ બેઠુ હોય છે. ને અચાનક એક આદમી શહેરમાથી આવી ચડે છે ને પાદરીને સમાચાર આપે છે કે વિશ્વ યુધ્ધ ફાટી નિકળ્યુ છે. સાંભળીને પાદરી ચિંતાતુર થઈ જાય છે. ત્યાં તો ટોળાંમાંથી એક જંગલી માણસ ઉભો થાય છે. અને પૂછે છે, " આ યુ્ધ્ધ એટ્લે શું ? "
પાદરી સમજાવે છે, " યુધ્ધ એટ્લે બે પક્ષ અથવા બે દેશ વચ્ચેની લડાઈ."
જંગલી માણસ, " એમાં શું થાય ?"
પાદરી," એમા બધા શસ્ત્રો લઈને સામ સામે લડે ને બળવાન પક્ષ કે દેશ જીતે ને નબળા હારે."
જંગલી માણસ,"તો તો બહુ બધા માણસો મરી પણ જતા હશે ! "
પાદરી,"હા, લાખો લોકોની જાનહાનિ થાય."
જંગલી માણસ," તો પછી એ બધા મરેલા લોકો નુ તમે શુ કરો?"
પાદરી," કઈ નહિ, એ એમ જ પડ્યા રહે અથવા તો જે તે દેશના સૈનિકો મરેલા લોકોને લાવી દફ્નાવી દે."
જંગલી માણસ આશ્ચ્રર્યથી," કેમ ? એટ્લા બધા માણસોનુ માંસ ખાય તો કેટલા બધા દિવસ ચાલે ?"
પાદરી," અરે! માણસોનુ માંસ તે કંઈ ખવાતુ હશે ?"
જંગલી માણસ વધારે આશ્ચ્રર્યથી," તો પછી મારતા શુ કામ હશે ? "
પાદરી મૌન.

હજી સુધી કોઇ પાદરી, કોઈ સંત, કોઈ મુલ્લાને આનો જવાબ નથી જડ્યો. એ ય નક્કી નથી કરી શક્યા કે ખરેખર જંગલી કોને કહેવા ? હકીકતમાં જ્યારે લડાઈ થતી હોય છે ત્યારે બે અહમ વચ્ચે થતી હોય છે ને છેવટે તો બંને બાજુ કંઈ ને કંઈ ગુમાવવાનુ જ હોય  છે.

કૂતરાનુ 'કૂતરાપણુ' , ચકલીનુ 'ચકલીપણુ' કે જગતના કોઈ જીવજંતુ કે વસ્તુઓનુ 'હોવાપણુ' ખતરામા નથી આવ્યુ. ખાલી માણસનુ 'હોવાપણુ' કે 'માણસાઈ' જ કેમ ખતરામા છે  ? ને એ પણ કહેવાતા  'સુસંસ્ક્રુત' માણસની...

માણસ છું......
હૈયે તો છું પણ હોઠેથી ભુલાઈ ગયેલો માણસ છું,
હું મારા ડાબા હાથે ક્યાંક મુકાઈ ગયેલો માણસ છું

સૌ જાણે છે કે ચાવું છુ હું પાન હંમેશા મધમધતાં,
હર પિચકારીમાં રોજ અહીં થુંકાઈ ગયેલો માણસ છું

પાણીમાં પડેલા કાગળના અક્ષર જેવા છે શ્વાસ બધા,
જીવું છુ ઝાંખું પાંખું હું ભુંસાઈ ગયેલો માણસ છું.

પાણીનો છે આભાસ એવો લાગું છું સ્વયં દરિયા જેવો,
કંઈ એવી તરસથી રણ જેવું સુકાઈ ગયેલો માણસ છું.

ક્યારેક એવું પણ લાગે છે આ વસ્તીમાં વસનારાને,
એક સાવ બજારુ ઓરત છું ચુંથાઈ ગયેલો માણસ છું.

સૌ આવી ગુનાહો પોતાના કબૂલીને મનાવે છે ‘મિસ્કીન’,
કોને કહેવું હું મારાથી રિસાઈ ગયેલો માણસ છું.
 

- રાજેશ વ્યાસ ‘મિસ્કીન

No comments:

Post a Comment